માલદેવજીભાઈ જેવા રાજનેતા હવે નહી થાય 1962માં માલદેવજીભાઈ કુતિયાણા બેઠક પરથી ચૂંટાયેલા તેમને પાંચ વર્ષ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તરીકેની સારી કામગીરી છતા કુતિયાણાની પ્રજાએ વર્ષ 1967ની યોજાયેલી ચૂંટણીમાં માલદેવજીભાઈને જાકારો આપ્યો.
![Politicians like Maldevjibhai will not happen anymore](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/405dbb6661532dd25815156cf6fa5153170238883393878_original.jpg)
963થી ડૉ જીવરાજ મહેતા બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતા હતા. મૂળ ભાવનગરના વતની બળવંતરાય મહેતા ખૂબ દયાળુ સ્વભાવ ધરાવતા હતા. બળવંતરાય મહેતાને ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા તરીકે ગણવામાં આવે છે. તેમના બે વર્ષના શાસન દરમિયાન ગુજરાતે સારો એવો વિકાસ કર્યો. 1963માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે હોદ્દો સંભાળ્યો ત્યારે ગુજરાત રાજયના સ્થાપનાને ત્રણ વર્ષ માંડ થયા હતા. અનેક માણખાકીય સુવિધાઓની અછત રાજયમાં જોવા મળતી હતી. એ સમયે બળવંતરાય મહેતાએ ગુજરાતના શહેરો જ નહીં પરંતુ ગામડાના વિકાસની રુપરેખા ઘડી અને તેમાં તેમને ખૂબ સારી સફળતા પણ મળી. ગુજરાતમાં પંચાયતી રાજને એક નવી દિશા આપવાનું કામ બળવંતરાય મહેતાએ કર્યુ હતું.
સેનાનુ મનોબળ વધારવા જતા બળવંતરાયનું પ્લેન ક્રેશમાં નિધન
વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદે સંબંધો બગડ્યા હતા અને યુધ્ધ થયુ. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન જિબ્રાલ્ટર નામ આપ્યું. ગુજરાતની જમીન અને દરિયાઈ સરહદ પાકિસ્તાનથી નજીક હોય સ્વભાવિક છે કે સૌથી વધુ સતર્ક રહેવાની જરુર પડે. પાકિસ્તાન 1962ના ચીન યુધ્ધ બાદ ભારતની સ્થિતી ખરાબ હશે તેમ માનીને કાશ્મીરમાં પોતાના સૈનિકોને ધુસાડે અને ભારત તેને રોકવા માટે ઓપરેશન હાથ ધરે છે. આ પરિસ્થિતી ધીરે ધીરે યુધ્ધમાં પરિવર્તીત થાય છે. આ શરુ થયેલા યુધ્ધને પગલે ગુજરાતને તેની ખૂબ મોટી કિંમત અને નુકશાની ભોગવવાનો વારો આવ્યો.
માલદેવજીભાઈ જેવા રાજનેતા હવે નહી થાય
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધની સ્થિતીનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી બળવંત મહેતા તેમના ધર્મપત્ની સહિત આઠ લોકો મીઠાપુરથી વિમાન માર્ગે કચ્છ જવા રવાના થાય છે. આ દિવસ હતો 19 સપ્ટેમબર 1965. યુધ્ધની સ્થિતીની માહિતી મેળવવા નિકળેલા બળવંત મહેતાનુ વિમાન કચ્છ સરહદે પહોંચ્યુ ત્યારે પાકિસ્તાન એરફોર્સ દ્રારા તેને તોડી પાડવામાં આવ્યુ. વિમાન અબડાસા તાલુકાના સરહદી ગામ સુથરી નજીક પડયુ. બળવંતરાય મહેતા અને પત્ની સહિત તમામ આઠ લોકો મૃત્યુ પામ્યા. ગુજરાતના મુખ્યમંત્રીના અચાનક અવસાનને પગલે ગુજરાત સહિત દેશભરમાં ઘેરો શોક છવાયો.
ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્ર દેસાઈએ શપથ લીધા
બળવંતરાયના અવસાન બાદ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્ર દેસાઈ આવ્યા. હિતેન્દ્રભાઈ દેસાઈએ મુખ્યમંત્રીના શપથ લીધા અને તેમના મંત્રી મંડળમાં જેમને શપથ લીધા તેમાં મહત્વના વ્યકિત તરીકે જે નામ હતુ તે હતા માલદેવજીભાઈ ઓડેદરા. માલદેવજીભાઈ ઓડેદરાએ હિતન્દ્રભાઈના નેતૃત્વમાં નાણા, વન અને મત્સ્યઉધોગ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. નાણામંત્રી તરીકેનો તેમનો અનુભવ અને પોરબંદર મત્સ્યઉધોગ માટે ખૂબ જાણીતુ હોય સ્થાનિક મુશ્કેલીને વધુ સારી રીતે સમજી શકે તેવા વ્યકિતને મંત્રી બનાવવા જોઈએ તેથી માલદેવજીભાઈને વિભાગ સોંપાયો.
ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા માલદેવજીભાઈ
1962માં માલદેવજીભાઈ ઓડેદરા કુતિયાણા બેઠક પરથી ચૂંટાયેલા તેમને પાંચ વર્ષ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તરીકેની સારી કામગીરી છતા કુતિયાણાની પ્રજાએ વર્ષ 1967ની યોજાયેલી ચૂંટણીમાં માલદેવજીભાઈને જાકારો આપ્યો. કુતિયાણા બેઠક પર બી.બી. ગજેરાએ સરકારના કેબીનેટ મંત્રી અને મેર સમાજના મોભી માલદેવજીભાઈને હરાવ્યા. એ સમયે મોટાભાગના નેતાઓ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. માલદેવજીભાઈના પુત્ર ભરતભાઈ ઓડેદરા જેઓ માજી સાંસદ રહી ચૂકયા છે તેઓ જણાવે છે કે 1960 અને 70ના દાયકામાં ધરના સભ્યોએ ફરજિયાત ખાદી પહેરવી પડતી. માલદેવજીભાઈનો આગ્રહ રહેતો કે તમામે ખાદી પહેરવી અને તે સમય અલગ હતો પિતાજી આદેશ આપે તો તમામે અવશ્ય માનવો પડતો. ભરતભાઈ વધુ જણાવે છે કે એ સમયે શાહીબાગમાં રહેતા મુખ્ય મંત્રી અને મંત્રીઓ મહિનામાં એક દિવસ મુખ્યમંત્રી અથવા કોઈ એક મંત્રીના ઘરે અચૂક જમવા જતા.
અહીં રાજનેતા ઉપરાંત ઘરના મહિલા સભ્યો તેમજ બાળકો પણ ખાદી પહેરીને જમવા જતાં. આવા ગાંધીવાદી નેતા માલદેવજીભાઈની હારને પગલે કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો. માલદેવજીભાઈની હાર માટેનુ મુખ્ય કારણ તેમનો સ્વભાવ હતો. માલદેવજીભાઈ સ્પષ્ટ વકતા અને ખૂબ પ્રમાણિક રાજનેતા હતા. ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી માલદેવજીભાઈ કોઈ નબળુ કામ તેમના વિસ્તાર અને તેમના વિભાગમાં ચલાવી લેતા નહીંં પરિણામે ભલભલા કોન્ટ્રાકટરોને આંખમાં કણાની જેમ તેઓ ખૂંચતા.
માલદેવજીભાઈ પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખ હતા
માલદેવજીભાઈ શિક્ષણના ખૂબ હિમાયતી હતા. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે લોકોમાં શિક્ષણનું સ્તર ખૂબ સારુ જોવા મળે છે તે માલદેવજીભાઈને આભારી છે. તેઓ કયારેય ખોટુ સહન કરતા નહીં. એ સમયનો એક કિસ્સો ખૂબ જાણીતો છે. આખાબોલા સ્વભાવના રાજકારણી એવા વસનજી ઠકરારે એક સમયે સુદામા ચોકમાં જાહેર સભા યોજી હતી. જાહેરસભામાં તેઓએ શહેરના મહિલા વકીલ બાબતે ખરાબ શબ્દોનો ઉલ્લેખ કર્યો. આ ધટના અંગે કોઈએ માલદેવજીભાઈનુ ધ્યાન દોર્યુ. માલદેવજીભાઈ તે સમયે પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખ હતા. પોતાના સાથી વકીલ માટે આવા શબ્દો કોઈકાળે ચલાવાય નહીં. એક દિવસ ભરી કોર્ટ કંપાઉન્ડમાં માલદેવજીભાઈએ વસનજીનો કોલર પકડીને શાનમાં સમજાવી દિધા હતા કે અમારા કોઈ પણ વકીલની વિરુધ્ધ ખરાબ શબ્દો કયાંય બોલ્યા તો આ કોર્ટ કંપાઉન્ડમાંથી નીચે ફેંકી દઈશ. આ ઘટનાને પગલે વસનજીએ બાદમાં મહિલા વકિલની માફી માંગતા સમગ્ર મામલો શાંત પડયો હતો.
માલદેવજીભાઈ જેવા રાજનેતા હવે નહી થાય
મૂળ ફટાણાના રહેવાસી માલદેવજીભાઈના નાનપણના મિત્ર એવા શામળાભાઈ બારોટનો પરિવાર મારા સોંદરડા (કેશોદ) ગામમાં વસેલો. તેઓ માલદેવજીભાઈ સાથે નાના મોટા થયેલા. બંને સ્વભાવે ખૂબ આક્રમક અને નખશીખ પ્રમાણીક. કોઈ દિવસ ખોટુ ચલાવે નહીં અને ખોટુ કરે નહીં. શામળાભાઈ ખૂબ અભ્યાસુ વ્યકિત્વ ધરાવતા હતા. મેર જ્ઞાતિના બારોટ હોવાને પગલે તેમનું ખાસ કરીને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં મોભાદાર સ્થાન હતુ. શામળાભાઈ બારોટના પુત્ર પ્રવિણ બારોટ સેલ્સ ટેક્ષ વિભાગમાં નિવૃત થઈ આજે પણ મેર જ્ઞાતિના બારોટ તરીકે કામગીરી કરે છે. તેઓ જણાવે છે કે માલદેવજીભાઈ જેવા રાજનેતા હવે થશે નહીં. કોઈ ગરીબ વ્યકિત કોઈપણ ઓળખાણ વગર માલદેવજીભાઈને મળી રજૂઆત કરી શકતો અને તેમની સમસ્યાનો માલદેવજીભાઈ જે તે અધિકારીને સૂચના આપી કામ થયુ કે નહીં તેની ચોકકસ કાળજી પણ રાખતા. આજે વોટબેંક જાળવવાની રાજનીતિ જોવા મળે છે તે સમયે આ પ્રકારની સ્થિતી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…