- અત્યાર સુધીમાં 3016 ખાનગી ઓફિસો અને એકમોનું ચેકિંગ કરાયું અને 36 એકમોને સીલ કરી દેવાયા..
- કોરોનાની ગાઈડલાઈનનું ભંગ કરતુ એમેઝોન સ્ટોર થયું સીલ
- કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે 50 ટકા સ્ટાફને બોલાવવાનો નિયમ છે.
- 239 જેટલી ઓફિસોમાં કોરોના ગાઈડલાઈન્સની તપાસ
- AMTS વિભાગની ટીમે કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સ્ટારબજારને સીલ કરી
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાયો હતો. આજે શહેરમાં જોધપુર વોર્ડમાં કોરોનાની ગાઈડ લાઈનના ભંગ બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે એમેઝોન સ્ટોર સીલ કર્યો હતો.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/05/new-project-2_1620371573.jpg)
50 ટકા સ્ટાફને બોલાવવાનો નિયમ છે
શહેરમાં 50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતી ઓફિસોમાં કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને બાદમાં ઓફિસો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. ગત સોમવારે અલગ અલગ વિસ્તારમાં 239 જેટલી ઓફિસોમાં કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં વસ્ત્રાપુરમાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે રત્નકાર 9 સ્ક્વેર બિલ્ડીંગમાં ઈનસાઈટ ક્રાફ્ટ તથા જેમ્સ ડિઝિટલ મીડિયા નામની બે ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવી હતી
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/05/new-project-4_1620371691.jpg)
જોધપુરમાં સ્ટારબજાર સહિત 10 ઓફિસને સીલ કરી હતી
જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટારબજારમાં કોર્પોરેશનની ટેક્સ અને AMTS વિભાગની ટીમે કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સ્ટારબજારને સીલ કરી દેવામાં આવ્યું હતું. પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/05/new-project-1_1620371566.jpg)
અત્યાર સુધીમાં 36 એકમો સીલ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 3016 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં સહિત 36 જેટલા એકમોમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/05/new-project-3_1620371587-1.jpg)
મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમ સીલ કરાયો હતો
આ પહેલા મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમ, સાયન્સ સિટી રોડ પર ઈગ્નીયોલ પ્રોજેક્ટ લી., રતનપોળમાં જે.એમ.મકવાણા જેવા એકમને 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિ.ના ટેક્સ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આગામી સમયમાં પણ ઓફિસો તથા એકમોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલું રહેશે અને સ્ટાફ નિયમ કરતા વધુ જણાય તો એકમો સીલ કરવામા આવશે.