ચક્રવાત ‘મિચોંગ’એ મચાવી તબાહી ચક્રવાત ‘મિચોંગ’ તમિલનાડુમાં તબાહી મચાવી રહ્યું છે. રવિવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, અનેક વૃક્ષો પડી ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાયા છે , શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે તો શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવી પડી છે. લોકોને ઘરેથી કામ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ચેન્નાઈ એરપોર્ટ સોમવાર રાત સુધી બંધ રાખવામાં આવ્યું હતું.
રાજ્ય મંત્રી કે. એન. નેહરુએ કહ્યું, ચેન્નાઈ 70-80 વર્ષમાં સૌથી ખરાબ વરસાદનો સામનો કરી રહ્યું છે. ચક્રવાતની અસર ઘટાડવા માટે લેવાયેલા પગલાં અપૂરતા હતા. હવામાનની સ્થિતિને જોતા એવી પણ આશંકા છે કે ચેન્નાઈની હાલત 2015 જેવી થઈ શકે છે. મહત્વનું છે કે એ સમયે પણ આખા શહેરે આવી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણીને દૂર કરવા માટે સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગના અપડેટ મુજબ ચક્રવાત મિચોંગ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક જઈને આજે નેલ્લોર અને માછલીપટ્ટનમના દરિયાકાંઠે અથડાશે તેવી શક્યતા છે.
ચક્રવાત ‘મિચોંગ’એ મચાવી તબાહી
તમિલનાડુના પડોશી રાજ્ય આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે અને હવામાન વીભાગની આગાહી મુજબ તે બુધવાર સુધી ચાલુ રહી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન સાથે ફોન પર વાત કરી. તેમણે ચક્રવાતી વાવાઝોડાને પગલે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. સ્ટાલિને કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ ચક્રવાત બાદ રાહત કાર્ય હાથ ધરવા માટે કેન્દ્રની મદદ લેશે. તમિલનાડુ સરકારે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી કચેરીઓ અને બેંકો માટે આજે રજા જાહેર કરી છે.
શહેરોમાં આવશ્યક સેવાઓ જેવી કે દૂધ અને પાણીનો પુરવઠો ચાલુ રહેશે, દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટલ ખુલ્લી રહેશે. ચેન્નાઈમાં કેબિનેટ મંત્રી ઉધયનિધિ સ્ટાલિન અને મંત્રી સુબ્રમણ્યમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. લોકોને બચાવવા માટે NDRFના 250 જવાનોની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘણા કર્મચારીઓ બોટ દ્વારા લોકોને બચાવતા જોવા મળ્યા હતા. ભારતીય સેનાની 12 મદ્રાસ યુનિટના સૈનિકો પણ લોકોની મદદ કરી રહ્યા છે.
ચેન્નઈના એક વિસ્તારમાં વરસાદની વચ્ચે રસ્તા પર મગરનો વીડિયો વાયરલ થયો છે. તમિલનાડુમાં અધિક મુખ્ય સચિવ સુપ્રિયા સાહુએ ટ્વીટ કર્યું કે ઘણા લોકો આ વીડિયોને ટ્વીટ કરી રહ્યા છે. ચેન્નાઈના ઘણા જળાશયોમાં કેટલાક મગર છે. આ શરમાળ પ્રાણીઓ છે અને માનવ સંપર્ક ટાળે છે. પાણી ઓવરફ્લો થતાં તેઓ બહાર આવી ગયા છે. કૃપા કરીને જળાશયોની નજીક ન જશો. જો આ પ્રાણીઓને એકલા અને ઉશ્કેરણી વિના છોડી દેવામાં આવે તો મનુષ્યને નુકસાન થવાની કોઈ શક્યતા નથી. ગભરાવાની જરૂર નથી. વન્યજીવ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે