Abhayam News
Abhayam

અકસ્માત: સુરતના 3 કોરોના વૉરિયર્સનું સૌરાષ્ટ્રથી પરત ફરતા બરોડા નજીક મૃત્યુ

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત
મળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરતમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

ત્રણેય યુવાનોનાં કારમાં જ કમકમાટીભર્યાં મોત
ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

કારમાં મૃતદેહ ફસાઈ જતાં ફાયર વિભાગની મદદ લેવી પડી
વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતા લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તરત જ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ એને બહાર કઢાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં
આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેમના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતાં જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં હતાં. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

પંચમહાલમાં ખાણ-ખનીજના અધિકારીઓની જાસૂસી માટે નવા ગૃપ બન્યા

Vivek Radadiya

ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી

Vivek Radadiya

જુઓ જલ્દી:-ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર થવાની સંભાવના…

Abhayam

1 comment

Comments are closed.