રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુએ (Mahamandleshwar Bharti Bapu) દેહત્યાગ કર્યો છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે દેહત્યાગ કર્યો છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે.
ભારતી બાપુ સરખેજ આશ્રમ ખાતે દેહ ત્યાગ કરતા સંતોમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. બાપુના બ્રહ્મલીન થતા તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, જૂનાગઢમાં ક્યારે સમાધિ કાર્યક્રમ થશે તેનાં વિશે માહિતી આપવામાં આવી નથી.
તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.
પૂ.ભારતી બાપુ 93 વર્ષના હતા. તાજેતરમાં જ 2 એપ્રિલના રોજ બાપુના 93માં જન્મદિનની શાનદાન ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરખેજ આશ્રમ ખાતે એક કાર્યક્રમ યોજવામાં પણ આવ્યો હતો જેમાં સંતો અને ભક્તોની હાજરીમાં બાપુને ફૂલહાર કરી અને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું.
આજે સવારે 9.30 વાગ્યા સુધી બાપુના અંતિમ દર્શન સરખેજ આશ્રમ ખાતે કરી શકાશે ત્યારબાદ બાપુના બ્રહ્મલીન શરીરને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે કોવીડ ગાઇડલાઇન અંતર્ગત બાપુને સમાધિ આપવામાં આવશે. બાપુની સદેહે અનુપસ્થિતિમાં લઘધુમહંત તેમની પરંપરાને આગળ ધપાવશે.