Abhayam News
AbhayamSocial Activity

લોકપ્રિય યુટ્યુબર ખજુરભાઈ બન્યા ગુજરાતના સોનુ સૂદ..

આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ‘ખજૂરભાઈ’ એટલે કે નિતિન જાની છવાયેલા છે. આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે. તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં થયેલી ખાના-ખરાબી બાદ નિતિન જાનીએ ભગીરથ સેવા કાર્ય આદર્યું છે. છેલ્લાં એક મહિનાથી નિતિન જાની તેમની ટીમ સાથે જાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્ય કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં પોતાના ખિસ્સામાંથી એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાય આપી છે. નિતિન જાનીના આ નેક કામના કારણે લોકો તેને ‘ગુજરાતનો સોનુ સુદ’ની ઉપાધિ આપી રહ્યા છે. નિતિન જાની તેમના ભાઈ તરૂણ જાની, પિનાકિન ગોહિલ, દિનેશભાઈ નિમાવત તથા રામભાઈ એમ પાંચ લોકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને દરેક પ્રકારની સહાય કરે છે…..

નિતિન જાનીએ કહ્યું હતું, ‘ગયા વર્ષે 22 માર્ચે જ્યારે લૉકડાઉન આવ્યું હું ત્યારથી જ લોકોની મદદ કરું છું. મેં પાણીપુરી, ભેળ, સમોસાવાળા જેવા નાના ધંધાવાળાને લૉકડાઉનના બીજા જ દિવસે બોલાવ્યા હતા અને તેમને આજ દિન સુધી કરિયાણું આપું છું. જે લોકોને ઉત્તર પ્રદેશ તથા બિહાર જવું હતું, તેમને જવાની વ્યવસ્થા કરી આપી હતી. મારા બારડોલીમાં જેમને પણ મદદની જરૂર હોય તે તમામને હું મદદ કરું છું. જેમને કરિયાણું જોઈતું હોય તેમને કરિયાણું આપું છું, પૈસાની જરૂર હોય તેમને પૈસા પણ આપું છું.’

24 મેના રોજ નિતિન જાનીનો જન્મદિવસ હતો. નિતિન જાનીએ કહ્યું હતું, ‘અમે તો ઘરે સહી સલામત આવી ગયા હતા. મારા જન્મદિવસ પર મેં એવું નક્કી કર્યું કે મારે કોઈ પાર્ટી કરવી નથી, પરંતુ વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય કરવી છે અને તેથી જ મેં બે લાખ રૂપિયાની મદદ કરી હતી. પછી જન્મદિવસના બીજા જ દિવસે મને વિચાર આવ્યો કે બે લાખ રૂપિયાની મદદ એ તો કંઈ મદદ ના કહેવાય. મારે જાતે ત્યાં જઈને લોકોની મદદ કરવી જોઈએ. પહેલાં મેં માત્ર બે દિવસ રહીને ત્યાં મદદ કરવાનો વિચાર કર્યો હતો ..

નિતિન જાનીએ આગળ કહ્યું હતું, ‘બે જ દિવસ રોકાવાનું હોવાથી મેં કપડાં વધારે લીધા નહોતા. એક જોડી પહેર્યાં હતાં અને બીજી જોડી કપડાં લઈ લીધા હતા. સૌથી પહેલાં હું રાજુલાની નજીક આવેલા વાવડી ગામે ગયો હતો. હું જ્યાં પણ ગયો ત્યાં અનેક વીજળીના થાંભલા પડી ગયા હતા. મારા અંદાજ પ્રમાણે 45 હજારથી વધુ થાંભલા પડી ગયા છે.’

કોરોનાકાળમાં નાળિયેરના ભાવ ઘણાં જ વધી ગયા હતા. આથી જ નિતિન જાનીએ રૂપિયા એક લાખ રૂપિયાનાં નારિયેળ ખરીદીને પહેલાં સુરતમાં નારિયેળ વહેંચ્યાં હતાં. ત્યારબાદ પોરબંદર, અમરેલી, ભાવનગરમાં એક-એક લાખ રૂપિયાનાં નારિયેળ વહેંચ્યાં હતાં. બારડોલી પરત ફરતી વખતે નિતિન જાનીને જાણ થઈ કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે.

વાવાઝોડું કેટલું જોખમી હતું તે અંગે વાત કરતાં નિતિન જાનીએ કહ્યું હતું, ‘ઉનામાં હજારોની સંખ્યામાં નાળિયેરીઓ પડી ગઈ છે. ઘણી જગ્યાએ આજે પણ નાળિયેરી-આંબાનાં ઝાડ સાફ કરવામાં આવ્યાં નથી. આ બધું સાફ કરવામાં એક-દોઢ લાખનો ખર્ચ થાય છે. ખેડૂતો પાસે એટલા પણ પૈસા નથી. આવા ઘણા ખેડૂતોને પણ મેં મારાથી થાય તેટલી મદદ કરી છે.’

નિતિન જાનીએ કહ્યું હતું, ‘વાવડીમાં હું સૌથી પહેલાં 10 સભ્યોના એક પરિવારને મળ્યો હતો. આ પરિવારમાં 9 ભાઈબહેન હતા અને તેમાંથી એક સૌથી મોટો ભાઈ ગયા વર્ષે કોરોનામાં ગુજરી ગયો હતો. આ દીકરો પરિવારનો આધાર હતો. આ પરિવારનું ઘર પડી ગયું હતું. આ પરિવારનું ઘર બનાવી આપ્યું અને 51 હજારની રોકડ સહાય કરી હતી. ત્યારબાદ અમે જાફરાબાદના શિયાળ બેટ ગયા હતા. અહીંયા મેં એક ટ્રક ભરીને નળિયાં આપ્યાં હતાં. આ ઉપરાંત 2200 કિટ વહેંચી હતી. આ કિટમાં 2 લીટર તેલ, લોટ, મસાલા, કિલો ગોળ અને દાળ સહિતની વિવિધ વસ્તુઓ હતી. પછી હું મારા ગામ ભાણવડ ગયો હતો અને અહીંયા મેં એક ટ્રક ફરીને નળિયાં આપ્યાં અને 2 ઘર બનાવી આપ્યાં હતાં.


નિતિન જાનીએ કહ્યું હતું, ‘ગયા વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી મારી જેટલી પણ યુ ટ્યૂબની આવક આવે છે, તે તમામ હું માત્ર ને માત્ર સેવા પાછળ ખર્ચ કરી રહ્યો છું. અત્યાર સુધી 1 કરોડથી પણ વધારે પૈસાની મદદ હું કરી ચૂક્યો છું. છેલ્લાં થોડાં સમયથી હું રોજના દોઢ લાખ રૂપિયા ખર્ચું છું. પૈસા તો કમાઈ લેવાશે, પરંતુ હાલમાં તો જેને મદદની જરૂર છે તેને મદદ કરવાનો સમય છે.’


નિતિન જાની ઘર બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓની ફી પણ ભરે છે. હાલમાં જ નિતિન જાનીએ નરોડામાં રિક્ષા ચલાવતા એક ભાઈના દીકરાની 11મા ધોરણની 10 હજાર રૂપિયાની ફી ભરી હતી. આ વિદ્યાર્થી સાગર સ્કૂલમાં ભણે છે. નિતિન જાનીએ સ્કૂલના શિક્ષક સાથે વાત કરીને જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓની ફી ભરવાનું વચન આપ્યું છે.

નિતિન જાનીના મતે, ‘ગુજરાતીઓ ક્યારેય ભૂખે મરે નહીં. જ્યારે પણ આફત આવે ત્યારે ગુજરાતી લોટ અને અનાજની કિટ લઈને ઘેર-ઘેર પહોંચી જઈએ છીએ. હકીકતમાં આ જરૂરિયાત છે જ નહીં. એક પણ ગુજરાતી ભૂખે મરે નહીં. હજારો સંસ્થાઓ એક જ વ્યક્તિને ઘણી કિટ આપતી હોય છે. મારી જાણ પ્રમાણે, લોકોની જરૂરિયાત પાકા ઘરની છે. તાઉતે વાવાઝોડમાં આઠ હજારથી વધુ ઘરો પડી ગયાં છે. અનેક લોકોના ઘર કાચાં છે. હું મારાથી થશે તે રીતે તમામ લોકોને ઘર બનાવીને આપવા માગું છું. હાલમાં સિમર ગામમાં મેં પાંચ તથા સોનારિયામાં પાંચ ઘર બનાવ્યાં છે અને એ રીતે મેં અત્યાર સુધી 23 ઘર બનાવ્યાં છે. આ અભિયાન ચાલુ જ છે. એક ઘર બનાવવામાં 70-80 હજારનો ખર્ચ થાય છે. હું વિધવા, નિરાધાર બહેનોને ઘર બનાવી આપું છું. આ સાથે જ તેમને 11, 21 હજાર રૂપિયાની રોકડ સહાય પણ કરું છું.’


નિતિન જાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટી વ્યક્તિઓએ કેવી રીતે મદદ કરી? તેના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘પતરાનો ગુજરાતનો નંબર વન ડિસ્ટ્રીબ્યૂટરને પતરા લેવા માટે ફોન કર્યો હતો. આ માણસ ઘણો જ પૈસાદાર છે. મેં 50-60 પતરા લેવા માટે ફોન કર્યો હતો. તેણે એવો જવાબ આપ્યો કે તે ભાવોભાવ આપશે, પરંતુ એમને એમ તો પતરાં નહીં જ આપે. ઘર બનાવવા માટે મેં મોટા મોટા બિલ્ડરને ફોન કરીને પૂછ્યું હતું તેઓ અસરગ્રસ્તોને ઘર બનાવી આપવામાં મદદ કરશે કે કેમ. 15-17 બિલ્ડરે મને મોં પર ચોખ્ખી ના પાડી દીધી હતી. એમણે એવો જવાબ આપ્યો કે તેઓ આવાં નાનાં કામ કરતા નથી. આ સમયે માલાભાઈ મદદે આવ્યા હતા. તેમણે છ-સાત વર્ષથી કડિયાકામ બંધ કરી દીધું હતું. મેં તેમને મારી સમસ્યા કહી હતી અને એ વ્યક્તિએ રાત-દિવસ જોયા વગર મને મદદ કરી હતી.’


નિતિન જાની સૌરાષ્ટ્રની સ્થિતિ સુધરી ના જાય ત્યાં સુધી તે અહીંયા જ રોકાશે. સૌરાષ્ટ્રમાં તેમણે ‘ઘર બનાવો’ અભિયાન શરૂ કર્યું છે. નિતિન અઠવાડિયામાં બે વાર એક જ ગામની મુલાકાત લે છે. ઘર બન્યા બાદ અન્ય કોઈ મદદની જરૂર છે કે નહીં તે પણ પરિવારને પૂછે છે. તેઓ હજી બેથી ત્રણ મહિના અહીંયા જ રોકાઈને લોકોને મદદ કરશે.


વધુમાં નિતિન જાનીએ કહ્યું હતું, ‘હાલમાં ગામમાં કડિયાની ઘણી જ શોર્ટેજ છે. પૈસાદાર લોકો પોતાના પૈસાના દમે કડિયાને રોકી રાખે છે. જ્યારે નાના માણસો પાસે પૈસા ના હોવાથી તેમને કડિયા મળતા નથી. હું જે પણ ગામમાં જાઉં ત્યાં કડિયા લોકોને રૂબરૂ મળું છું. તેમને હાથ જોડીને વિનંતી કરું છું.’


નિતિન જાનીએ પરિવાર અંગે વાત કરતાં કહ્યું હતું, ‘સિહોર મંદિરનાં તમામ પતરાં ઊડી ગયાં હતાં અને આનો ખર્ચો મેં આપ્યો છે. સિહોરી માતા અમારાં કુળદેવી પણ છે. આનો વીડિયો જ્યારે મારા મમ્મીએ જોયો તો તેઓ રડવા લાગ્યાં હતાં કે હું ઘણો જ પાતળો થઈ ગયો છું. તેમને મારું ટેન્શન થઈ ગયું હતું. મેં મારી મમ્મીને એમ કહ્યું હતું કે આપણી પાસે તો પોતાનું ઘરે છે, પરંતુ અનેક માતાઓ પાસે ઘર નથી અને નિરાધાર છે. તમે કહેતા હો તો હું ઘરે આવી જાઉં. આ સાંભળીને મારી મમ્મીએ એમ કહ્યું કે બધાનું કામ થઈ જાય પછી જ આવજે. મને પરિવારે ઘણો જ સપોર્ટ આપ્યો છે.’

નિતિન જાનીએ કહ્યું હતું, ‘હાલમાં જ એક પતિ-પત્નીએ મારી કાર આગળ આવીને મારી સાથે સેલ્ફી લેવાની વાત કરી હતી. સેલ્ફી લીધા બાદ તે બહેન અડધો કલાક સુધી મારી આગળ રડ્યાં હતાં. તે કપલની પાંચ વર્ષની દીકરીનું બ્લડ કેન્સરને કારણે અવસાન થયું હતું. પત્નીનું ધ્યાન દીકરીના વિચારોમાંથી બહાર જાય તે માટે પતિએ એક દુકાન કરી આપી હતી. મેં તેમને 61 હજારની મદદ કરી હતી.’

નિતિન જાનીના મતે, રોજના 500-700 ફોન મદદ માટેના હોય છે. આમાંથી એક પણ ફોન ફૅક હોતો નથી. બધા જ ફોન જરૂરિયાતમંદ લોકોના હોય છે. હું રોજ 20-25 લોકોને મદદ કરું છું. હું તમામના નંબર ડાયરીમાં નોંધ કરીને રાખું છું. રોજ સવારના સાતથી રાતના 12 વાગ્યા સુધી સતત કામ કરું છું.


હાલમાં નિતિન જાની ગુજરાતમાં ‘ગુજરાતનો સોનુ સૂદ’ તરીકે લોકપ્રિય છે. આ અંગે નિતિન જાનીએ કહ્યું હતું, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને લોકો આ નામથી બોલાવશે. આ લોકોનો પ્રેમ છે. હું એટલું જ કહીશ કે જે લોકોને માતાજીએ પૈસા આપ્યા છે, તે પૈસા સારા કામમાં સદઉપયોગ કરે. તમે એક માણસને સપોર્ટ કરશો તો આવનારા ભવિષ્યમાં પરિવાર, દીકરાઓને માતાજી પૈસા ડબલ કરીને આપશે. અત્યારનો સમય એકબીજાને સમજવાનો તથા મદદ કરવાનો છે. આપણે સરકાર અને કોર્પોરેશનને ફરિયાદ કરીએ છીએ. મેં પાંચથી સાત હજાર જાનવરોને રસ્તા પર મરેલાં પડ્યાં હોય તેને ઉપાડ્યાં છે. હું તેને સાઈડમાં લઈને ખાડો કરીને દાટી દેતો હોઉં છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ: સુરંગની અંદરની હકીકત

Vivek Radadiya

ગુજરાત માં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો યુનિવર્સિટી એક્ટનો કરશે વિરોધ…

Abhayam

“કેબિનેટમાં સ્થાન નહિ હવે ભાજપ નું કોઈ કામ નહિ” એવા દ્રશ્યો નજરે ચડ્યા શું છે સંપૂર્ણ ખબર…

Deep Ranpariya