Abhayam News
AbhayamEditorials

અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…

દેશની પ્રવર્તમાન પરિસ્થિતીથી લગભગ આપણે બધા જ હવે તો સુપેરે પરીચિત છીએ. કોરોના સંક્રમણને કાબુમાં લેવામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે એ તો ઠીક છે પણ સાથોસાથ દેશના પ્રધાનમંડળના વડા સહિત ભાજપના પક્ષ પ્રમુખ અને અન્ય આગેવાનો પણ પોતાના પક્ષનો પ્રચાર કરવાના હરખમાં સુપર સ્પ્રેડર બની ગયા.

⚕️ હું મામલતદાર હતો ત્યારે લગભગ એક પણ દિવસે બપોરે સમયસર જમવા ભેગો નથી થઈ શક્યો. કારણકે કામ જ એટલું રહેતું હોય છે. બીજું કે આપણી કામ કરવાની દાનત હોય. મારી પદ્ધતિ એવી હતી કે મારો સ્ટાફ પહેલા જમી લે અને પછી હું જમવા જાઉં. જમવા જવાના સમયે પણ જો કોઈ અરજદાર મળવા આવ્યા હોય કે પોતાની કોઈ મુશ્કેલી લઈને પધાર્યા હોય તો હું સૌથી પહેલા અરજદારને સાંભળતો. મે ક્યારેય એવું નથી કહ્યું કે હું જમીને આવું ત્યાં સુધી બેસો. મારા પપ્પાએ મને શીખવ્યું છે કે બેટા હંમેશા યાદ રાખવું કે સૌથી અગત્યનો સમય એટ્લે વર્તમાનનો ચાલુ સમય હોય એ. સૌથી અગત્યનો વ્યક્તિ એટ્લે આપણી સામે પોતાનું કામ લઈને અને એ કામ સમયસર પૂરું થવાની આશા લઈને આવેલો અરજદાર છે. અને સૌથી અગત્યનું કામ એટ્લે એ અરજદાર જે કામ લઈને આવ્યો છે એ. આ શીખ મુજબ મે મારી ફરજ બજાવી જેનો મને આજે પણ ભારોભાર સંતોષ છે. પણ કહેવાનું એટલું જ કે જો મામલતદાર કક્ષાનો અધિકારી કે ક્લાર્ક કક્ષાનો કર્મચારી પણ સમયસર જમવા ભેગો ન થઈ શકતો હોય તો પછી આ પ્રધાનમંત્રીને સમગ્ર દેશનો વહીવટ, આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, કોરોના મહામારીને લગત અગત્યની મિટિંગો વગેરે જેવા અત્યંત અગત્યના કામોમાથી પોતાના પક્ષનો પ્રચાર કરવાનો સમય કેવી રીતે મળી રહેતો હશે ?

⚕️ હકીકતે મને એવું લાગે છે કે શ્રી મોદી સાહેબમાં પ્રધાનમંત્રી પદની ગરિમા અને મહત્વ સમજવા જેટલું ભણતર ખૂટે છે. સૌથી પહેલી ફરજ આવે છે દેશના સર્વોચ્ય નેતા તરીકે નાત-જાત અને ધર્મના નામે વાદવિવાદ થાય તેવા વાક્યો ઉચ્ચારવા ન જોઈએ કે જેમાં તેઓ બિલકુલ નાપાસ થયા છે. જ્યારે દેશ અને દેશની જનતા જબરદસ્ત મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પોતાના પક્ષનો પ્રચાર કરવાના બદલે તેમણે લોકોને જરૂરી વ્યવસ્થાઓ મળી રહે તે માટે કમર કસવી જોઈએ. વધુમાં આ તો એવી મહામારી છે કે સ્પર્શથી અને હવામાં ફેલાય છે. એકબાજુ જ્યારે તેઓ કહે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો અન બીજી બાજુ હજારો-લાખોની જનમેદની એકઠી કરે એ કેટલુ વ્યાજબી ગણાય ? એક વડાપ્રધાન દરજ્જાના વ્યક્તિની કથની અને કરણીમાં ફર્ક હોવો ન જોઈએ.

⚕️ અત્યારે જ્યારે તદ્દન ખોટા આંકડાઓ બતાવવા છ્ત્તા પણ સમગ્ર વિશ્વમાં ભારત કોરોના સંક્રમણ અને મૃત્યુના કિસ્સામાં પહેલા નંબરે પહોંચી ગયો છે ત્યારે તમે સમજી શકો છો કે ગ્રાઉન્ડ લેવલે ખરી હકીકત શું હશે ? હોસ્પિટલોમાં લોકોને લાઇનમાં ઊભવું પડે છે. બેડ મળે તો ઑક્સીજનનું સિલિન્ડર શોધવા લાઇનમાં ઊભવું પડે. સિલિન્ડર મળે તો ઑક્સીજન ભરાવવા લાઇન લગાવવી પડે. દર્દીને ઑક્સીજન લાવીને આપે પણ બરોબર રીફિલિંગ થયું ન હોવાથી ફરીથી તાત્કાલિક ઑક્સીજન લેવા દૌડવું પડે અને ફરીથી લાઇનમાં ઊભવું પડે. આ દૌડાદૌડીમાં બિચારા દર્દીનુ ઑક્સીજન લેવલ ધીમે ધીમે ઓછું થતું જાય અને થોડા દિવસમાં જ દર્દીનુ મૃત્યુ નીપજે. મૃત્યુ થયા બાદ બોડી મેળવવામાં પણ પરિવારજનોએ લાઇનમાં ઊભવું પડે. બોડી મળ્યા બાદ પણ પરિવારજનોએ અંતિમ સંસ્કાર માટે ફરી લાઇન લગાવવી પડે. છેલ્લે નગરપાલિકામાથી મરણનું પ્રમાણપત્ર લેવા પણ ફરીથી લાઇનમાં ઊભવું પડે. શું આ છે તમારી સરકારનું મેનેજમેન્ટ ? શું આ છે તમારી સંવેદનશિલતા ?

⚕️ આપણા હાલના નેતાઓમાં ચપટીભર પણ નૈતિકતા નથી. નહીં તો અત્યારસુધીમાં રાજીનામું આપી દીધું હોય. વિપક્ષમાં દમ નથી અથવા એમ કહો કે વિપક્ષ જેવુ જ કઈ નથી એટ્લે એમણે હજુ સુધી રાજીનામું માંગવાની હિંમત પણ કરી નથી. આપણી પબ્લિક પણ વધારે પડતી હકારાત્મક વલણ ધરાવે છે. વધારે પડતી હકારાત્મકતાને મુર્ખાઈ કહેવાય. હકારાત્મકતાને સફેદ કલર ગણીએ અને નકારાત્મકતાને કાળો… તો એકદમ કાળો વ્યક્તિ પણ આપણને પસંદ પડે નહીં અને એકદમ ધોળો હોય એને આપણે કોઢિયો કહીએ છીએ. નજર સમક્ષ જ્યારે સ્પષ્ટ છે કે કોરોના મહામારીની બીજી લહેરને કંટ્રોલ કરવામાં મોદી સરકાર સદંતર નિષ્ફળ રહી છે ત્યારે પણ વધારે પડતી હકારાત્મકતા દાખવનાર વ્યક્તિ બીમાર કહેવાય. આ પ્રકારનો અંધભકત કોઢિયો કહેવાય.

⚕️ ફેસબુક પર મારી એક પોસ્ટમાં કોઈ એક અંધભક્ત વિદ્વાને મને લખ્યું કે, “દેશની વસ્તી ખૂબ વધારે છે. ઘરમાં 2 શૌચાલયો છે અને પરિવારમાં ધારોકે 10 સભ્યો છે જે બધા જ સભ્યોને અપચો થઈ જાય તો એકીસાથે હળવું થવા જવું અઘરું પડી જાય. એવી જ રીતે પબ્લિક લાપરવાહ છે એટ્લે હોસ્પિટલોમાં એકીસાથે ટ્રાફિક થયો છે. એમાં મોદી સાહેબનો વાંક નથી. તેઓ તો ખૂબ સારું કામ કરી રહ્યા છે. તમને બહુ બળતરા થતી હોય તો તમે પ્રધાનમંત્રી બની જાવ અને કામ કરી બતાવો…”. આવા લોકો અંધભકતીની ચરમ સીમા પાર કરી ગયા છે. એમને હવે સમજાવવા કે પરત લાવવા શક્ય નથી. આસારામ ખુલ્લો પડી ગયો છ્ત્તા હજુ તેના ઘણા ભક્તો આપણને બજારમાં મળી જશે. બસ અહિ પણ આવું જ કઈક છે. એકાએક મને વિચાર આવ્યો કે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતીના પેપરમાં નિબંધલેખન આવતું. જેમાં ઘણી વખત હું મુખ્યમંત્રી હોવ તો…, હું પ્રધાનમંત્રી હોવા તો… વગેરે જેવા વિષયો પર લખવાનું આવતું હતું. લાવ ને હું પણ લખું કે જો હું પ્રધાનમંત્રી હોવ તો હું કોરોના મહામારીના કપરા સમયમાં શું શું કરું ?

▪️સૌથી પહેલા તો હું એવી ગેરસમજ બિલકુલ રાખું નહીં કે હું જ સર્વશ્રેષ્ઠ છું અને મને જ બધી ખબર પડે છે. સૌથી પહેલા તો હું મહામારીને નાથવા માટે કરવાના થતાં નક્કર કામો બાબતે લોકો પાસે સજેશન માંગુ. કારણકે એવું બિલકુલ જરૂરી નથી કે સચિવાલયમાં બેઠેલો સચિવ જ બુદ્ધિશાળી હોય. જનતા જનાર્દન પૈકી પણ કેટલાય નોલેજેબલ વ્યક્તિઓના સૂઝાવો જાણવા જરૂરી હોય છે.

▪️મહામારીના સમયે વિવિધ સરકારી કચેરીઓના પોતાને લગત કામો હાલ પૂરતા સ્ટેન્ડબાય રખાવીને તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓને એક જ સ્ટેજ પર લાવીને દરેકને માત્ર મહામારી સામે લડવા માટે તૈયાર કરું અને એમની આવડત, અનુભવો, સ્વભાવ અનુસાર એમને વિવિધ પ્રકારની કામગીરીની સોંપણી કરાવું.

▪️કોરોના વોરિયર તરીકે ફ્રંટલાઇન ઉપર લડતા મારા સોલ્જર્સ જેવા કે ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદારો, પોલીસ અને અન્ય સરકારી સ્ટાફ તમામને માટે પી.પી.ઇ. કીટ, વીમાકવચ સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડું. ફૂલ કે ફિક્સ પગારદારી તમામ કોરોના વોરિયર્સ સહિત તેમના પરિવારજનોને પણ કોરોના સંક્રમિત થવાના સંજોગોમાં સરકારી દવાખાનામાં અગ્રતાના ધોરણે અને વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવું.

▪️કોરોના ટેસ્ટિંગ માટે પણ લોકો પોતાના વાહનમાં બેઠા બેઠા ટેસ્ટિંગ કરાવી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરું. કોરોના પોઝીટિવ દર્દીને તેમના ઘરેથી દવાખાને દાખલ કરવા સુધીની તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ગોઠવાય એવું આયોજન કરું. જેથી દર્દીના પરિવારજનો પર સંક્રમિત થવાનો ખતરો ટળી શકે. ગામેગામ અલગ અલગ વિસ્તારોવાઇઝ હેલ્પ સેન્ટરો ઊભા કરું અને હેલ્પલાઇન નંબરો પબ્લિક સુધી પહોચાડાવું. દવાઓ, ઈંજેકશનો અને ઑક્સીજન વગેરે જરૂરિયાત સબંધી ચીજવસ્તુઓના કાળાબજાર કે સંગ્રહખોરી ન થાય તે માટે તમામ મેડિકલ સ્ટોરને સરકાર હસ્તક જ મુકાવું. દવાઓ, ઈંજેકશનો અને ઑક્સીજન માત્ર અમે ઊભા કરેલા સેન્ટરો મારફત જ મળી રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવું.

▪️અંગત સ્વાર્થ, પક્ષનો સ્વાર્થ કે ઉધોગપતિઓને પડતી મુશ્કેલીઓને અવગણીને સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણને પ્રાધાન્ય આપીને સૌપ્રથમ દેશમાં મિલીટ્રી શાસન અમલી કરાવું. કોરોનાનો વાઇરસ કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી એવા અદ્રશ્ય દુશ્મનને માત આપવા માટે એક્શન પ્લાન બનાવું અને શકય એટલી વહેલી તકે દેશમાં એક માહિનાનું સંપૂર્ણ લોકડાઉન લગાવું. વિદેશમાથી આગમન કે ગમન બંને પર કેટલાક મહિનાઓ સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવું. કેટલીક વખત કડક નિર્ણયો લેવા જ પડે. થાળી વાટકા વગાડવાથી કે દીવા કરવાથી કોરોના સામે જંગ જીતી શકાય નહીં.

▪️ખોટી ભલામણો અને નિયમ વિરુદ્ધના કામો સબબ મારી સરકારમાં રહેલા ધારાસભ્યો અને સાંસદસભ્યોને પણ નહીં ગણકારનારા એવા કાયદાની મર્યાદામાં રહીને પરંતુ માત્ર પોતાની ફરજનું પાલન કરનારા મારી જેવા તોફાની તેમજ શ્રેષ્ઠ અધિકારી-કર્મચારીઓને સંપૂર્ણ સત્તા સોંપું. દરેક રાજ્યમાં, જીલ્લામાં અને તાલુકામાં તથા ગામેગામ ટોપ અધિકારીઓની ટાસ્કફોર્સની રચના કરું. જે સીધી જ પ્રધાનમંત્રી સાથે સંપર્કમાં રહીને કામ કરે.

▪️મારા તમામ પ્રકારના અંગત અને પક્ષને લગત કામો પર પૂર્ણવિરામ લગાવીને માત્રને માત્ર કોરોના સામેની જંગ ઉપર જ મારૂ ધ્યાન ફોકસ કરું. વોરરૂમમાં જ સત્તત્ત હાજરી આપું. ઘરવાઈઝ વ્યવસ્થા ગોઠવીને, હેલ્થની ટીમના સભ્યો ઘરે ઘરે મોકલીને દરેક વ્યક્તિનું ઓછામાં ઓછા દિવસોમાં 100% વેક્સિનેશન થાય એવા પ્રયત્નો કરું. આ માટે જરૂર પડે વિવિધ ખાનગી કંપનીઓના કોલ સેન્ટર અને તેમના સ્ટાફની પણ મદદ લઈએ.

▪️તમામ સરકારી સર્કિટ હાઉસ, સરકારી ઇમારતોને હોસ્પીટલમાં ફેરવી નંખાવું. તમામ ખાનગી હોસ્પિટલો સરકાર હસ્તક લઈ લઈએ. ખાનગી ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર સહિત મેડિકલ ને પેરામેડિકલની ડિગ્રી ધરાવતા દરેક વ્યક્તિને ફરજિયાતપણે સેવામાં લઈએ. જો ન આવે તો તેમની ડિગ્રી પરત લેવરાવી લઉં. તે દરેકને આ કામગીરીનો સરકાર પગાર ચૂકવશે.

▪️એમ.ડી. કક્ષાના ડોકટર્સને એરિયાવાઇઝ 4 થી 5 હોસ્પિટલો વચ્ચે સુપરવિઝનમાં મુકાવું. આ વિસ્તારોમાં હોમકોરાંટાઈન થયેલા દર્દીઓને વિનામુલ્યે ચેક કરવાની જવાબદારી પણ એમને જ સોપું. રોજેરોજના રાજ્યોવાઈઝ રિપોર્ટ જાતે અંગત રીતે ચકાસું. જે-જે તાલુકાઓમાં એમ.ડી. ડોક્ટરની વ્યવસ્થાઓ ન હોય ત્યાં ખાનગી એમ.ડી. ડોક્ટર્સના ઓર્ડર કરીને ફાળવણી કરાવું. ગામડેથી અને તાલુકેથી દર્દીઓને જિલ્લા મથકે કે મોટા શહેરોમાં આવવું ન પડે એની ખાસ તકેદારી રાખું.
દરેક રાજયોના સી.એમ. સાથે દરરોજ વિડીયો કોન્ફરન્સ કરૂ.

▪️કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર એકાંતરે વિવિધ રાજ્યો, જિલ્લાઓ, તાલુકાઑ અને શહેરોનો પ્રવાસ કરું તથા ત્યાની હોસ્પિટલોની આકસ્મિક તપાસણી ગોઠવું. વેશપલટો કરીને સામાન્ય માણસ બનીને એકલો જ દવાખાનાઓમાં જઈને ગ્રાઉન્ડ લેવલની હાલતથી જાતે વાકેફ થાઉ. સ્પેશિયલ વિજિલન્સની ટીમો બનાવું કે જેમાં કોણ અધિકારી નિમણૂંક પામેલ છે તેનો કોઈને ખ્યાલ આવે નહીં. આ ટીમોએ પોતાની ઓળખ છત્તી કર્યા વગર દરરોજ તેમને હું ફાળવું એ દવાખાનાઓ, મેડિકલ સ્ટોર, આઇસોલેશન સેન્ટર વગેરે સ્થળોની આકસ્મિક મુલાકાત કરવાની થાય અને મને અહેવાલ સોંપવાનો થાય. જેથી સત્ય હકીકતોથી હું સીધો જ વાકેફ થઈ શકું અને લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકું.

▪️દર્દીઓને માટે જરૂરી ખાધ સામગ્રીઓમાં ભાવવધારો થાય નહીં અને જરૂરિયાતમંદ દર્દીને વ્યાજબી ભાવે મળી રહે તેના પર પણ ધ્યાન આપું. આવા કપરા સમયે શ્રેષ્ઠ કામગીરી કરી બતાવનાર કર્મચારી ઉપર ચાલતી ઇંક્વાયરીઓ દફતરે કરવાનું વચન આપીને એમની પાસે નક્કર કામગીરી કરાવું. દરેક દવાખાનાઓના તમામ વોર્ડમાં સી.સી.ટી.વી. કેમેરા ફિટ કરાવું અને તેના પાસવર્ડ જાહેર કરી અપાવું કે જેથી પોતાના સ્વજનોને/દર્દીઓને મળતી સારવાર દરેક વ્યક્તિ પોતાના ઘેરે બેઠા જોઈ શકે.
સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓને ઓથોરાઇઝડ કરીને તેમની પાસે અમારી ટાસ્કફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ આયોજન મુજબની મદદ લઈએ.

▪️એકલવાયું જીવન જીવતા તેમજ નિરાધાર વૃદ્ધ લોકોને માટે વિવિધ જ્ઞાતિની વાડી-સંસ્થાઓ કે મંદિરોમાં ઉતારા માટે રાખવામા આવેલ રૂમોમાં કેટલાક સમય દરમિયાન રહેવા અને જમવાની વ્યવસ્થાઓ ગોઠવીએ. નિરાધાર વૃદ્ધોની માહિતી મામલતદાર કચેરીઑમાથી માંગવીને તેમને સેન્ટરો સુધી પહોચાડવાની વ્યવસ્થા કરાવીએ.

▪️સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પૈકી કેટલીક બસોને જરૂર જણાય તો એમ્બ્યુલન્સ કે હરતી ફરતી હોસ્પિટલમાં ફેરવીને પણ દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવીએ. ભારતમાં આવતી કે જતી ફ્લાઇટો ઉપર સદંતર પ્રતિબંધ મુકાવી દઉં. મેળાઓ, ધાર્મિક ઉજવણીઓ કે પછી ચુંટણીઓ ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાવી દઉં. એન.સી.સી., એન.એસ.એસ., ખાનગી સિક્યોરિટી એજન્સી સહિતનાને પણ જરૂરી કામગીરીમાં લઈએ. ટ્રાવેલ્સ એજન્સીઓ અને ટેક્સીઓને પણ વ્યાજબી વળતર હેઠળ જરૂર જણાય સરકાર હસ્તક લઈએ.

▪️નેશનલ ચેનલ, એફ.એમ. તેમજ આકાશવાણી પર દેશના તમામ મોટીવેશનલ સ્પીકરોના કાર્યક્રમોનું આયોજન કરાવું. કોરોના સંક્રમિત મારા દેશવાસીઓ ઉત્સાહમાં રહે અને હકારાત્મક વિચારો કરતાં રહે તે માટે તાલુકા અને જિલ્લાકક્ષાએ કામ કરતાં ખાનગી કે સરકારી મનોચિકિત્સક ડોક્ટરોને પણ કાઉન્સેલિંગની જવાબદારી સોંપું. આ પૈકીનાં મારા વિશ્વાસુ અને સિનિયર મનોચિકિત્સક ડોક્ટરશ્રીને આ કામગીરીનું સંપૂર્ણ સુપરવીઝન સોંપું. જે સમયાંતરે મને રિપોર્ટ કરતાં રહે.

▪️ઉકત તમામ કામગીરી માટે જરૂરી આર્થિક વ્યવસ્થા માટે સૌથી પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ પદાધિકારીઓના આખી ટર્મના પગાર ભથ્થાઓ તેમજ ગ્રાન્ટ મહામારીને નાથવાના ખર્ચમાં વાપરી નાંખીએ. અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી તરીકે હું હોઉ તો શરૂઆતથી જ પગાર લેતો જ ના હોઉ. પ્રધાનમંત્રી રિલિફ ફંડ અને મુખ્યમંત્રી રીલીફ ફંડનો પણ પૂરો વપરાશ કરીએ. દેશના અબજોપતિ અને કરોડપતિ ઉધોગપતિઓ પાસેથી પણ ઈચ્છા-અનિચ્છાએ ફરજિયાત આર્થિક મદદ મેળવીએ. વધુ આર્થિક વ્યવસ્થાની જરૂર પડે તો કાળું નાણું ડિકલેર કરનારને ઇન્કમટેક્ષમાં 50% રાહત આપવાની જાહેરાત કરીને પણ પૈસા એકઠા કરીએ. અરે… મારા દેશવાસીઓને બચાવવા માટે હું મારા પક્ષનું ભંડોળ પણ ખાલી કરી નાંખું. કારણકે ભંડોળ ફરીથી ઊભું થઇ શકે પણ કોઈએ ગુમાવેલ સ્વજન પાછું નથી આવતું.

▪️આર્થિક, માનસિક અને શારીરિક રીતે મુશ્કેલીમાં મુકાયેલ સામાન્ય પબ્લિકને માસ્કના નામે, હેલ્મેટના નામે કે પછી જાહેરનામા ભંગના ગુના સબબ દંડ ફટકારવાનું નિર્દયી પગલું ક્યારેય લઉં નહીં. તમામ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિત તાલુકા અને શહેરના પદાધિકારીઓને પણ સત્તત્ત સરકારી હોસ્પિટલોમાં ખડે પગે રાખું અને તેમની પાસેથી પણ રોજેરોજના અહેવાલો મંગાવું. કામગીરીમાં ઉણપ દેખાયેથી આવનારી ટર્મમાં રિપીટ થીયરી નહીં અપનાવાની ચેતવણી પણ આપું.

▪️પરિસ્થિતી વધારે બગડે તો અગમચેતીના ભાગરૂપે પણ કેટલીક તૈયારીઓ રાખું. બેકઅપ પ્લાન બનાવી રાખું. મતબેંકની પરવાહ કર્યા વગર અને કોરોનાની પહેલી, બીજી કે ત્રીજી લહેરોની રાહ જોયા કે વાતો કર્યા વગર માત્રને માત્ર મારા દેશને કોરોનામુક્ત કરવાનો ટાર્ગેટ રાખીને જ આગળ વધુ. આથી જ્યાં સુધી કોરોના પર પૂરેપુરી પકડ બને નહીં કે લગભગ 100% વેક્સિનેશન થાય નહીં ત્યાં સુધી સમગ્ર દેશમાં કડકમાં કડક નિયંત્રણો ચાલુ રાખું. કારણકે આપણા દેશની પ્રજામાં સ્વયંશિસ્તનો અભાવ જોવા મળે છે.

▪️દેશના પ્રધાનમંત્રી તરીકે મારા દેશવાસીઓના જાન-માલનું રક્ષણ કરવાની જવાબદારી મારી માથે હોઇ કોઈપણ સંજોગોમાં મૃત્યુઆંક શક્ય એટલો નીચો રહે તેના પર ફોકસ કરું. આટઆટલી કામગીરી કર્યા બાદ પણ જો કોરોનાનું સંક્રમણ અટકે નહીં અને મૃત્યુઆંક વધતો રહે તો પ્રધાનમંત્રી તરીકે નિષ્ફળ રહ્યાનું સ્વીકારીને જનતા જનાર્દનની માફી માંગીને સહર્ષ મારા પદ પરથી રાજીનામું ધરી દઉં તેમજ રાજકારણમાથી પણ કાયમી નિવૃત્તિ જાહેર કરી દઉં. જય હિન્દ.

જો તમે કે તમારા પરિવારના સભ્યો કે મિત્રો સરકારની નિષ્ક્રિયતા અને અણઆવડતને કારણે હેરાન થયા હોવ કે તમારે સ્વજન ગુમાવવાનો વારો આવ્યો હોય તો આ લેખને અન્ય લોકો સુઘી પહોંચાડવો એ તમારી ફરજ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

નાઇટ કર્ફ્યૂ અંગે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો.

Abhayam

મુખ્યમંત્રીએ તાઉતે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ પામેલા બાગાયતી પાકો અંગે જાણો શું કહ્યું…?

Abhayam

ખાઓ છો ચીનનું નકલી લસણ??

Vivek Radadiya